FOOD BUZZ:લકી રેસ્ટોરાંની ગલીમાં ‘શશીનું ચવાણું’, કાચુ પપૈયુ, લીંબુ અને ખાસ મસાલાના સ્વાદ પિઝા – બર્ગરને હજી પણ ટક્કર આપે છે.

જુના અમદાવાદમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યા હજુ પણ ઓટલે, પગથિયે, ગોખલામાં કે ભોંયરામાં ચવાણું, ફૂલવડી કે ભજીયા જેવી વાનગીઓ છે અને તે અતિશય લોકપ્રિય છે. અન્ય શહેરોની જેમ અમદાવાદની ખાણી પીણીની પોતાની જ એક આગવી વિશેષતા છે. સ્વાદના શોખીનો માટે જૂનું અમદાવાદ નાસ્તાનું સ્વર્ગ ગણાય છે. તમે અહીં ટહેલવા નીકળો તો ગલીએ ગલીએ તમને સ્વાદિષ્ટ ખાણીપીણીની દુકાનો કે સ્ટોલ જોવા મળશે. રોજ સવાર સાંજ નવી નવી વાનગી ટ્રાય કરો તો પણ એક મહિનો પુરો થઇ જાય પણ ખાણી પીણીની જગ્યાઓનું લિસ્ટ પુરું ના થાય. અહિંની વિશેષતા જ એ છે કે દરેક વાનગીઓને અમદાવાદી ટચ આપવામાં આવે છે. અમ‌દાવાદની મુલાકાત લો ત્યારે જૂના અમદાવાદ એટલે કે કોટ વિસાતારની ખાસ ચીજો તો અચૂક ચાખવી જોઈએ. ઘણા સુકા નાસ્તા તો મુંબઇ સહિત દેશભરમાં થેલા ભરીને ભરીને લઇ જવામાં આવે છે. વળી ફ્લાઇટની સારી એવી સગવડ હોવાથી રાંધેલી તાજી વાનગીઓ પણ લઇ જવા વાળો વર્ગ કમ નથી. આજે આપણે એક એવી જગ્યા ની વાત કરશું જેમાં તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ તે કેવી જગ્યા જ્યા લોકો ઊભા-ઊભા માત્ર ચવાણું ખાતા જોવા મળે છે. રોડની સાઇડમાં ફુટપાથની દિવાલ પર લોખંડની દિવાલ બનાવીને છેલ્લા 60 વર્ષથી એક ધારુ રીમઝીમ ચવાણુ વેચાય છે.

જુનુ અને નવું અમદાવાદ સાબરમતી નદીના કારણે બે ફાંટામાં વહેંચાય. એટલે તમે નહેરુ બ્રિજ ઉતરીને કોઇને પણ પૂ છો તો શશીના ચવાણાના સ્ટોલ સુધી મુકી જાય. બ્રિજના છેડે લાલદરવાજા વિસ્તાર શરૂ થાય અને વિશ્વ વિખ્યાત સીદી સૈયદની જાળી આવેલ છે. તેની ડાબે તરફની સામેની બાજું ન્યુ લકી રેસ્ટોરન્ટ આવેલી છે. એની જ ગલી માં અંદર સહેજ આગળ જઇને વળાંક વળો એટલે શશી ચવાણા નો ઓટલો દેખાશે. શશી ચવાણા નો ઇતિહાસ પણ જાણવા લાયક અને સ્વાદ માણવા લાયક હોય છે.

આ દુકાન નું વર્ણન કરું તો તમને લાગશે કે નાની જગ્યાથી લોકો નામ અને દામ બન્ને કમાઇ શકે છે. શશી ચવાણાની શરૂઆત ફુટપાથ ઉપર થઇ હતી અને તેની દિવાલે ફરસાણ મુકવા માટે લોખંડના કબાટ બનાવેલા છે. ઓટલાપર પથ્થર મૂકી ને લાકડાં નું ઉંચું કાઉટર ઉભું કરેલું છે. આટલી સામાન્ય જગ્યાએ સ્વાદ અદભૂત હોય છે. અહીં જાત જાત ની વરાઇટી ના ફરસાણ મળે છે અને તે તમામ ફરસાણ ભેગુ કરીને ઉપર કાચા પપૈયાની છીણ, લીંબુ અને ખાસ મસાલો નાખીને જે ચવાણુ બને છે તે ડચકારા બોલી જાય એવુ ટેસ્ટી હોય છે અને લોકો તેને રીમઝીમ ચવાણા તરીકે ઓળખે છે.

આ દુકાન ના સંચાલક ખુદ શશીકાંત ભાઈ એ શશી ચવાણા ની શરૂઆત કઈ રીતે થઇ એ બાબત ની માહિતી આપતા જણાવ્યું હતું કે “શશી ચવાણા નું નામ મારાપિતા મહેન્દ્રભાઇએ મારાં નામ શશીકાંત પરથી રાખ્યું હતું. આ ચવાણા ની શરૂઆત ઘણા વર્ષો પેહલા લગભગ 60 થી વધુ વર્ષ પેહલા નહેરુનગર બ્રિજ ના છેડે રૂપાલી સિનેમાની બહાર ફૂટપાથ પર એક લારીમાં નમકીન વેચવા થી શરુ કરેલું અને મોટા ભાગે તેઓ સેવ અને દાળ ના મિશ્રણ માં લીંબુ નીચોવી ગ્રાહક ને વેંચતા હતા. સાથે સાથે અન્ય સૂકા ફરસાણ પણ વેચતા હતા. આ દરમિયાન બન્યું એવુ કે એક વખત તેમને પ્રયોગ રૂપે ફરસાણ વેચતા વેચતા જે માલ વધ્યો હતો તે મિક્સ કરીને એકાદ બે ગ્રાહકોને આપવાની શરૂઆત કરી. પછી તો લોકો સેવ દાળ ના મિશ્રણ ને ભૂલી ગયા અને ચવાણું માગવા લાગ્યા અને આ રીતે શશીના ચવાણું નો ઉદભવ થયો.”

રૂપાલી પછી તેઓએ લકી રેસ્ટોરન્ટ ની પાછળ દીનબાઈ ટાવર ની સામે ફૂટપાથ ઉપર ડબ્બા મૂકીને વેચાણ શરૂ કર્યું. અમદાવાદ ના સીદી સૈયદની જાળી પાસે આવેલી પ્રખ્યાત લકી રેસ્ટોરન્ટ અને તેના ખાચા માં આવેલું શશી ચવાણા લગભગ 60 વર્ષ થી પણ વધુ જૂની પેઢી છે અને લોકોને સ્વાદનું ધેલુ લગાડ્યું છે. મેં અનેક લોકો સાથે વાત કરી અને તેમની વાતો ઉપરથી લાગ્યું કે, એક વાર જે ખાય એ કાયમ માટે આ ચવાણા નો ચાહક બની જાય. કારણ કે અનેક ગ્રાહકો વારંવાર અહિં આવવા ટેવાયેલા હતા.

હવે પાછી મૂળ વાત ઉપર આવું તો ફુટપાથ ઉપરનો ધંધો ધીમે ધીમે વિકાસ પામતાં તેઓ આ સામાન્ય દેખાતા સ્ટોલમાંથી બે પાંદડે થયાં અને નારણપુરામાં વિજય નગર પાસે બીજી મોટી દુકાન કરી છે. જોવાની વાત એ છે કે બધી સગવડ વાળી દુકાન હોવા છતાં પણ ભીડ તો અહી ફૂટપાથ ઉપર જ જોવા મળે છે . કારણ કે લોકોને અહિં ઉભા ઉભા ડીશમાં બનાવીને અપાતું ચવાણુ ઝાટપવાની બહુ મજા આવે. વળી ઘણા ઓછું તીખું ખાતા હોય તેમને તો એક, બે અને ત્રીજી ચમચી ખાય ત્યાં તો જીભમાંથી સીસકારા બોલવા માડે. વધારે તીખું ખાનારા એકસ્ટ્રા મસાલો નખાવે.

મને તો ચવાણૂ બનાવવાની રીતમાં વધારે રસ પડ્યો. તેઓ જે ચવાણું મિક્સ કરે તે રીત જોવા જેવી હોય છે. એક ડીશ માપનું થાય તેટલું ચવાણું એક પ્લાસ્ટીકના ડબ્બામાં મિક્સ કરી ને અવાજ આવે તે રીતે જોર જોરથી હલાવી ને માથે પપૈયા નું તાજું છીણ અને લીંબુ નિચોવાય છે. વળી તેમનો બનાવેલો મસાલો જ સ્વાદમાં ચાર ચાંદ લગાવે છે. અહીં સામાન્ય લોકો થી લઇ ને આમિર વર્ગ ના લોકો આ ચાવાણા ની મોજ માણવા આવે છે.

પોતાના ચવાણા ની ખાસિયત વિશે શશી ભાઇ જણાવે છે કે ” અમારું ચવાણું બધા થી અલગ પડે છે એનું મુખ્ય કારણ એમાં વપરાતા સ્પેશ્યિલ મસાલા છે અને હંમેશા તાજો માલ આપીએ છીએ. વર્ષોથી જે સ્વાદ ડેવલપ થયો છે તેમાં ફેરફાર ના થાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ”.

આ ચવાણા માં ચણા ની દાળ, ગાંઠિયા, સેવ, મકાઈ પૌઆ, સીંગદાણા, દાળમુઠ, વટાણા, રતલામી સેવ વગેરે માપસરના મસાલા સાથે હોય છે. ઉપર બીજી સામગ્રી નાખવાથી ખાટો અને તીખો સ્વાદ મોઢામાં પડે એટલે જાણે કે મોજ પડી ગઇ. એક વાર ખાઈએ તો દાઢે રહી જાય. રૂ. ૧૫૦નું ૫૦૦ ગ્રામ ચવાણા ના તૈયાર પેકેટ મળે છે અને ઉપર મસાલો અને કાચું તાજું પપૈયા નું છીણ પાર્સલમાં પણ આપવામાં આવે છે. લોકો એકસ્ટ્રા મસાલો લેવા માટે તલપાપડ થતા હોય છે અને શશીભાઇ રાજી થઇને આપે પણ ખરા. આ મસાલો ઘરે વઘારેલા કે વઘાર્યા વગરના મમરા, ભાખરી કે ખાખરા ઉપર છાંટીને ખાવાની પણ મોજ આવે. જો તમારે ઉભા ઉભા જ ખાઇ લેવું હોય તો 3૦ રૂપિયા ની એક ડીશ મળે. આ ડીશ ખાતા લોકોની કાયમ ભીડ જોવા મળે એટલે સમજી જવાનું કે આ શશીની જ દુકાન છે.

મિક્સ ચવાણાના બદલે છૂટક આઇટમ લઇ જવી હોય તો તેના પણ પેકેટ તૈયાર જ મળે છે. જયારે સીદી સૈયદની જાળી બાજુ જાવ તો ખાસ અહીં ની મુલાકાત લેવી. શશી ચવાણા, લકી રેસ્ટોરન્ટની બાજુ ખાંચામાં, દિનબાઇ ટાવરની સામે, લાલદરવાજા અમદાવાદ. અને બીજી શાખા નારણપુરા અમદાવાદ. સ્વાદ અને શુદ્ધતાનો જલસો પડી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *